સમયના વ્હેણમાં કેવો વહાવે છે મને,
ડૂબાડે તો કદી સરસર તરાવે છે મને.
પ્રથમ કો’ અટપટા માર્ગે ફસાવે છે મને,
પછી મોઘમ ઇશારાથી બચાવે છે મને !
નથી કોઈ ખબર એનાં રહસ્યોની મને,
નહીં તો ખાસ અંગતમાં ગણાવે છે મને !
ફરક બસ એટલો કે અન્યને દેખાય નહિ,
અરીસા જેમ પોતામાં છુપાવે છે મને !
નહીં તો કેમ એને હું મળું ક્યારેય પણ ?
ભીતર જોજનનાં જોજન ચલાવે છે મને !
અમસ્તા કોઈને સૂઝે નહીં શબ્દો ‘સુધીર’,
કૃપા એની ગઝલ કાયમ લખાવે છે મને.
-સુધીર પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો